March 2008


રવ્યાદિ સાત ગ્રહોની રોજની અસરો જાણવા માટે વાર ઉત્પન્ન કરવામાં આવ્યા છે.
વાર એક સુર્યોદયથી બીજા સૂર્યોદય સુધી ગણવામાં આવે છે.
વાર સાત છે. સોમ, બુધ, ગુરુ અને શુક્ર શુભ ગણાય છે.

રવિ, મંગળ અને શનિ ક્રૂર વાર ગણાય છે.

ચંદ્રની એક કળાને તિથિ કહેવામાં આવે છે. એકમથી પૂનમ સુધીની શુક્લપક્ષની પંદર અને એકમથી અમાવસ્યા સુધીની કૃષ્ણપક્ષની પંદર, એમ ત્રીસ દિવસનો એક માસ થાય છે. તિથિઓ અંકોમાં લખાય છે. પૂર્ણિમાં માટે ૧૫ અને અમાવસ્યા માટે ૩૦ લખાય છે. પંદર તિથિના પૂર્ણા, રિક્તા, જયા, ભદ્રા અને નન્દા એમ એના પાંચ વિભાગ છે. ૪, ૯, ૧૪ આ રિક્તા તિથિઓ ગણાય છે. શુભ કાર્ય એમા વર્જ્ય છે. અમાવસ્યાના પિતૃઓ સ્વામી છે.
૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧ આ તિથિઓ શુભ કાર્ય માટે ઈષ્ટ છે.

કુંડળી

સામાન્ય રીતે જ્યોતિષી ફળકથન જન્મકુંડળીના આધારે કરે છે. જન્મકુંડળી એટલે જાતકના જન્મસમયના ગ્રહોનો નકશો એને જન્માક્ષર અથવા જન્મપત્રિકા પણ કહે છે. ભવિષ્યકથનની સચ્ચાઈ અને સચોટતાનો આધાર જન્મકુંડળીની સચ્ચાઈ પર છે જન્મનો સમય જન્મસમયનો સ્પષ્ટ સૂર્ય અને જન્મસ્થળના અક્ષાંશ, રેખાંશ ચોક્કસ હોવાં જરૂરી છે. જન્મકુંડળીના બાર ભાવોમાં રહેલી રશિ અને ગ્રહોની સ્થિતિ, પરસ્પર સંબંધ, દ્રષ્ટિ, બળ ઈત્યાદિના આધારે ચતુર ભવિષ્યવેત્તા ભવિષ્યકથન કરે છે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ ઈત્યાદિ પંચાંગના આધારે જાણી શકાય છે. શુભ મુહૂર્ત માટે પંચાંગ આજકાલ સર્વપ્રિય સાધન રહ્યું છે. ગણેશ દૈવજ્ઞ પંડિતના ગ્રહ લાઘવ ગ્રંથની, પરંપરાગત પંચાંગની રચનામાં સહાય લેવાય છે. આ પરંપરા નિરયન પદ્ધતિ પર અવલંબિત છે, ગ્રિનીચ વેધશાળાના પ્રત્યક્ષ ગણિતના બોટીકલ આત્માનાકના આધારે સાયન પદ્ધતિને પણ આપણાં કેટલાંક પંચાંગોએ ઈષ્ટ ગણી આવકારી છે.

જ્યોતિષશાસ્ત્રની અદભુત સત્યતા એના સૂક્ષ્મ ગણિત અને ફળકથનમાં રહેલી છે. બ્રહ્માંડવ્યાપી મહાકાળના યુગ, સંવત્સર, વર્ષ, અયન, ઋતુ, માસ, પક્ષ, દિવસ, તિથિ, પ્રહર, મુહૂર્ત, ઘડી, પળ, વિપળ, પ્રાણ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ કરી, ક્ષેત્રના આધારે નક્ષત્ર, રાશિ, અંશ, કળા, વિકળા, જેવા ભાગ કરી જ્યોતિષના આચાર્યોએ સતત અવલોકન અને નિરીક્ષણથી, જલયંત્ર, છાયાયંત્ર અને પ્રત્યક્ષ દર્શનથી સિદ્ધાંતોનું પરીક્ષણ કરી, ગ્રહોની સ્થિતિ, ભ્રમણ, અક્ષાંશ, રેખાંશ, ઉદય, અસ્ત, છાયા, નાડી, કરણ, યોગ વગેરેનું સાચું ગણિત આપ્યું છે.